નેતા જ્યારે પાર્ટી બદલેઃ કોંગ્રેસથી કમંલમ તરફ, ભાજપ વધે લોકસભા તરફ...! ગુજરાતમાં કોંગ્રેસને તેના નેતાઓએ જ ખોખલી કરી નાંખી, ભાજપનો દોષ નહીં
- 04 Mar, 2024
લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે ગુજરાતમાં ભાજપે ફરીથી 26 બેઠકો અંકે કરવાની ચૂંટણી રણનીતિના ભાગરૂપે ખાસ કરીને કોંગ્રેસની આદિવાસી મત બેંકને નબળી પાડવા કોંગ્રેસમાંથી આદિવાસી નેતાઓની શરૂ કરેલી ભરતીમાં હાલમાં કોંગ્રેસના વરિષ્ઠ અને આદિવાસી નેતા નારણ રાઠવાએ વિધવત કેસરી ખેસ પહેરી લીધો છે,
નારણ રાઠવાની પાછળ-પાછળ અપેક્ષાકૃત તેના દિકરા સંગ્રામ અને અન્ય કોંગ્રેસી આગેવાનો પણ ભરતી મેળામાં ભાજપમાં ભળી ગયા છે. નારણ રાઠવાને બે ટર્મ રાજ્યસભામાં સાંસદનું પદ મળ્યુ અને પાંચ વર્ષ રેલમંત્રી તરીકે યુપીએ સરકારમાં પદ મેળવ્યું હતું. અને હવે કોંગ્રેસ છોડીને સત્તા માટે પક્ષપલટો કર્યો છે.
ગુજરાતમાં આદિવાસીઓનું હિત કોની સાથે છે? આ પાયાનો પ્રશ્ન ફરી એકવાર રાજકારણમાં પૂછવાની સ્થિતિ ઉભી થઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ અને આદિવાસી નેતા નારણ રાઠવાએ વિધવત કેસરી ખેસ પહેરી લીધો. ભાજપમાં જોડાતી વખતે અગાઉ જે નેતાઓ પાર્ટીની વિરૂધ્ધ વાત કરતા આવ્યા છે તે જ વાત નારણ રાઠવાએ કરી.
કોંગ્રેસની કોઈ એક સમયની મજબૂત મતબેંક એટલે આદિવાસી મતબેંક અને એ મતબેંકને જાળવી રાખતા ઘણા મોટા નેતાઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. છોટાઉદેપુર સહિત સમગ્ર આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટી તરીકે નારણ રાઠવા, સુખરામ રાઠવા અને મોહન રાઠવા સારુ એવું વર્ચસ્વ ધરાવે છે.
ભાજપનું ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખથી વધુ મતોથી જીતવાનું સ્વપ્ન અને આ વખતે 400 પારના લક્ષ્યાંકની પાર પાડવાનું આયોજન થઇ રહ્યું છે. તો સવાલ એક જ આવીને ઉભો રહે છે કે જેના માટે આ કવાયત થઈ રહી છે તે આદિવાસી સમુદાય ક્યાં ઉભો છે?. આપણે જેને મૂળ નિવાસી કહીએ છીએ એવો આદિવાસી સમાજ આઝાદીના 7 દાયકા પછી સામાજિક અને આર્થિક રીતે કેટલો સશક્ત થયો.
જે કોંગ્રેસી આદિવાસી નેતાઓ છે તે પક્ષપલટો કરી રહ્યા છે ત્યારે આ માત્ર બનવાજોગ છે કે પછી આદિવાસી સમુદાય શિક્ષણ મેળવીને વધુ વિચારતો થયો માટે નેતાઓ તેના મન પરિવર્તનને કળી ગયા છે?. સરકારની યોજનાઓથી આદિવાસીઓનું જનજીવન ખરેખર બદલાયું છે કે નહીં. આદિવાસીઓના હિતની વાતો કરનારા લોકોએ અત્યાર સુધી આદિવાસીઓનું હિત કેટલું કર્યું.
વરિષ્ઠ કોંગ્રેસી અને આદિવાસી નેતા નારણ રાઠવા ભાજપમાં જોડાયા છે, નારણ રાઠવાના દિકરા સહિત અનેક કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા છે જેથી કોંગ્રેસને આદિવાસી બેલ્ટમાં ફટકો પડી શકે છે. લોકસભા ચૂંટણીની દ્રષ્ટિએ આદિવાસી મતબેંક અગત્યની છે. ત્યારે નારણ રાઠવાના પક્ષપલટા સાથે કેટલાક સવાલો પણ ઉપસ્થિત છે.
રાજ્યનો આદિવાસી નેતા ક્યાં અને કોની સાથે ઉભો છે? રાજ્યનો આદિવાસી સરવાળે ક્યાં અને કોની સાથે છે? આદિવાસી નેતૃત્વની વિચારધારામાં પરિવર્તનનું કારણ શું? આદિવાસી પોતાના હિત પ્રત્યે વધુ સજાગ થયો છે કે નહીં? આદિવાસી નેતાઓ આદિવાસીઓનો કેટલો વિકાસ કરી શક્યા? એવા સવાલો ઉદભવી રહ્યાં છે. જો કે જેઓ જોડાયા છે તેમાંથી કેટલા મૂળ કોંગ્રેસી આદિવાસી નેતાને લોકસભા માટેની ટિકિટ મળે છે તે પણ જોવુ રસપ્રદ બની રહેશે.
શક્ય છે કે નારણ રાઠવાને ટિકિટ મળી શકે. જો કે તેમણે કહ્યું કે, મારી કોંગ્રેસ સામે નારાજગી નથી તેમજ વિકાસને ધ્યાનમાં લઈને જ ભાજપમાં જોડાયા છીએ. સત્તાપક્ષની સાથે હોઈએ ત્યારે પરિસ્થિતિ જુદી હોય છે. આદિવાસીઓનું વધુ સારુ હિત કરવા કટિબદ્ધ છે. ભાજપમાં જોડાતા પહેલા કોઈ શરત રાખી નથી. મારા સાથી કાર્યકરો પણ ભાજપ સાથે જઈ રહ્યા છે.
તાજેતરમાં જે આદિવાસી નેતાઓએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેમાં પૂર્વ કેન્દ્રિયમંત્રી નારણ રાઠવા, પૂર્વ ધારાસભ્ય, અશ્વિન કોટવાલ, જીતુ ચૌધરી, કોંગ્રેસમાં 50 વર્ષ રહીને અનેક પદનો લાભ ભોગવનાર સિનિયર મોહન રાઠવા, મંગળ ગાવિત, ધીરુભાઈ ભીલ અને સોમજી ડામોરનો સમાવેશ થાય છે.
ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાઠવા ત્રિપુટીનું વર્ચસ્વ જોવા મળ્યું છે. નારણ રાઠવા, મોહન રાઠવા, સુખરામ રાઠવાનો પ્રભાવ છે તેમજ મોહન રાઠવા અગાઉ ભાજપમાં જોડાઈ ચુક્યા છે. નારણ રાઠવા પણ ભાજપમાં જોડાતા લોકસભા ચૂંટણીમાં અસર પડી શકે છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ